અગ્નિપથ યોજનાને સરકારે 14 જૂને મંજૂરી આપી. આ યોજના હેઠળ શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યના આધારે અગ્નિવીરોની પસંદગી કરવામાં આવશે. ત્યારે નાણા મંત્રાલયે બેંકોને અગ્નિવીર માટે રોજગારની તકો શોધવા જણાવ્યું છે. તેવામાં અગ્નવીર માટે રોજગારની તકો શોધવા માટે નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓના વડાઓ સાથે બેઠક યોજી હતી.
કેન્દ્રીય કેબિનેટે 14 જૂને સશસ્ત્ર દળો માટે ટૂંકા ગાળાની ભરતી યોજના ‘અગ્નિપથ’ને મંજૂરી આપી હતી. જેમાં પસંદગી પામનાર યુવાનો અગ્નિવીર તરીકે ઓળખાશે. અગ્નિવીર તરીકેની સેવા પૂર્ણ કર્યાં પછી જવાનોને કેટલીક બેંક સુવિધા ઉપબ્ધ કરવામાં આવશે. જે બાબતે નાણાકીય સેવા સચિવે જાહેર ક્ષેત્રની બેંકો, સરકારી વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓના વડાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં, લશ્કરી બાબતોના વિભાગના સંયુક્ત સચિવે અગ્નિપથ યોજનાના મુખ્ય પાસાઓ વિશે માહિતી આપી હતી.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અગ્નિવીરોને મદદરૂપ થાય તેવી બેંકો કૌશલ્ય વૃદ્ધિ, વ્યવસાય સ્થાપવા માટે શિક્ષણ અને સ્વ-રોજગાર માટે યોગ્ય ધિરાણ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની શક્યતાઓ દર્શાવી હતી. ત્યારે નિવેદન મુજબ, બેઠક દરમિયાન લેવાયેલ નિર્ણયમાં જાહેર ક્ષેત્રની બેંકો, સરકારી વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યના આધારે યોગ્ય લાભો/રિબેટ વગેરે થકી અગ્નિવીરોને રોજગારની તકો ઉપલબ્ધ કરશે.