જૈનધર્મના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનો જન્મ કમ્પિલપુરમાં થયો હતો. વિમલ યશધારી મહારાજ કૃતવર્મા એમના પિતા અને મહારામી શ્યામા એમની માતા હતાં. ભગવાન વિમલનાથ તેમના ગતજન્મમાં ધાતકીખંડની મહાપુરી નગરીના રાજા પદ્મસેન હતાં. મુનિ સર્વગુપ્તનો ઉપદેશ સાંભળ તેઓ વિરક્ત થયાં. દીક્ષા લઈ નિર્મળભાવથી સંયમનું પાલન કરીને વીસ સ્થાનોની આરાધના કરી તાર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું.
અંતે સમાધિપૂર્વક જીવનકાળ સમાપ્ત કરી આઠમા સહસ્ત્રારકલ્પમાં ઋદ્ધિમાન દેવરૂપે ઉત્પન્ન થયાં. દેવલોકથી ચ્યવન કરી પદ્મસેનનો જીવ વૈશાખ શુક્લ બારસના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં કમ્પિલપુરની મહારાણી શ્યામાના ગર્ભરૂપે પ્રસ્થાપિત થયો. માતાએ એ જ રાત્રે 14 મહાસ્વપ્ન જોયાં અને સુખરૂપે ગર્ભકાળ સમાપ્ત થતા મહા શુક્લ તૃતીયાએ ઉત્તરાભાદ્રપદમાં ચંદ્રયોગ થતા પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકના ગર્ભમાં રહેવાના સમયે માતા તન-મનથી નિર્મળ બની રહી, માટે બાળકનું ના વિમલનાથ રાખ્યું.
45 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં વિમલનાથે દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાશુક્લ ચતુર્થીએ એક હજાર રાજાઓની સાથે સહસ્ત્રમ્રવનમા ષષ્ઠભક્ત તપસ્યા કરી બધા પાપકર્મોનો લોપ કરીને શ્રમણ દીક્ષા સ્વીકારી હતી. બીજા દિવસે ધાન્યકટપુરના મહારાજ જયને વિભિન્ન પરિસ્થિતિઓને સમભાવે સહન કરતા વિચરણ કરતા રહ્યાં. પછી દીક્ષાસ્થળે પહોંચી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી પોષ શુક્લ ષષ્ઠીએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બેલેની તપસ્યાથી એમણે કેવળજ્ઞાન મેળવ્યું.
કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રભુ વિહાર કરતા કરતા દ્રારકા પહોંચ્યા. ત્યાં સમવસરણમાં તત્કાલીન વાસુદેવ સ્વયંભૂ પણ હાજર થયા. એમણે ત્યાં સમ્યક્ત્વ-ધર્મ સ્વીકારી લીધો તથા હજારો નર નારીઓએ પ્રભુની દેશના સાંભળી ચારિત્ર ધર્મ સ્વીકાર્યો. પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને ભાવ તીર્થંકરપદ સાર્થક કર્યું.