જૈન ધર્મના ચોવીશ તીર્થંકરમાં પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નગરીમાં મેઘરથ નામના રાજા હતાં. તેમની રાણીનું નામ મંગલાદેવી હતું.
શ્રી સુમતિનાથ ભગવાનનો જન્મ અને નામકરણ :
વૈજયંત વિમાનની સ્થિતિ પૂર્ણ થયા પછી શ્રાવણ શુક્લની બીજે મઘા નક્ષત્રમાં પુરુષસિંહનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યુત થઈ અયોધ્યાપતિ મહારાજ મેઘની રાણી મંગલાવતીના ગર્ભમાં આવ્યો. ત્યારબાદ માતા મંગલાવતી ગર્ભસુચક 14 શુભ સ્વપ્ન જોઈ પરમ પ્રસન્ન થઈ. ગર્ભકાળ પૂર્ણ થતાં વૈશાખ શુક્લ અષ્ટમીએ મધ્યરાત્રીના સમયે મઘા નક્ષત્રમાં માતાએ સુખપૂર્વક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકના ગર્ભમાં રહેવાના સમયે મહારાણીએ પોતાની સુમતિના પ્રભાવથી મોટી- મોટી ગૂંચવાયેલી સમસ્યાઓનાં નિરાકરણ કર્યાં હતાં. એટલે બાળકનું નામ સુમતિનાથ રાખવામાં આવ્યું હતું.
શ્રી સુમતિનાથ ભગવાનનો વિવાહ, રાજ્ય અને દિક્ષા :
રાજકુમાર સુમતિનાથ યુવાન થવાની સાથે મહારાજે યોગ્ય કન્યાઓની સાથે એમના વિવાહ કરાવ્યાં હતાં. 29 લાખ પૂર્વ વર્ષો સુધી રાજ્યપદનો ઉપભોગ કરીને અંતે તેઓ સંયમધર્મ માટે તત્પર થયાં. લોકાંતિક દેવોની પ્રાર્થનાથી વર્ષીદાન આપી એક હજાર રાજાઓની સાતે વૈશાખ શુક્લ નવમીએ મઘા નક્ષત્રમાં પંચમુષિ્ટક લોચ કરીને સમસ્ત પાપકર્મ ત્યાગીને મુનિ બન્યાં હતાં.
કેવળજ્ઞાન :
દીક્ષા ગ્રહણ કરતી વખતે પ્રભુએ ષષ્ટમભક્ત (છટ્ઠ) તપ કર્યું હતું. બીજા દિવસે પ્રભુએ વિજયપુર પધારીને ત્યાંના મહારાજા પદ્મને ત્યાં પોતાના તપનું પ્રથમ પારણું સ્વીકાર્યું હતું. દીક્ષા ગ્રહણ કરી વીસ વર્ષ સુધી તેઓ છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને વિવિધ પ્રકારની તપસ્યા કરીને વિચરણ કરતાં રહ્યાં. ધર્મધ્યાનથી કર્મનિર્જરા કરી પછી પહસ્ત્રામ્રવનમાં પધારી ધ્યાનાવસ્થિત થયા અમે ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી ચૈત્ર શુક્લ એકાદશના દિવસે મઘા નક્ષત્રમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉપલબ્ધિ કરી હતી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી પ્રભુએ દેવ, દાનવ અને માનવોની વિશાળ સભામાં મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ભાવ તીર્થંકર કહેવાયા હતાં.
ચાલીસ લાખ પૂર્વની આયુમાંથી ભગવાન સુમતિનાથે 10 લાખ પૂર્વ સુધી કુમારાવસ્થા, 29 લાખ 11 પૂર્વાંગ સુધી રાજ્યપદ, 12 પૂર્વાંગમાં 1 લાખ ઓછા પૂર્વ સુધા ચારિત્ર-પર્યાય પ્રાપ્ત કર્યું. પછી ચૈત્ર શુક્લ નવમીએ પુનર્વસુ નક્ષત્રમાં ચાર અગાતીકર્મોનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું.
શ્રી સુમતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક :
કલ્યાણકનું નામ | મારવાડી તિથિ | સ્થળ | ગુજરાતી તિથિ |
---|---|---|---|
ચ્યવન | શ્રાવણ સુદ 2 | વૈજયંત દેવલોકથી અયોધ્યા | વૈશાખ સુદ 2 |
જન્મ | વૈશાખ સુદ 8 | અયોધ્યા | વૈશાખ સુદ 8 |
દીક્ષા | વૈશાખ સુદ 9 | અયોધ્યા | વૈશાખ સુદ 9 |
કેવળજ્ઞાન | ચૈત્ર સુદ 11 | અયોધ્યા | ચૈત્ર સુદ 11 |
નિર્વાણ | સમેતશિખર | ચૈત્ર સુદ 9 |