UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) થકી ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. IAS, IFS, IPS જેવી ક્લાસ 1-2ની સિવિલ સર્વિસ ક્ષેત્રે સફળતા મેળવવા માટે સખત પરીશ્રમ માંગી લે છે. તેવામાં સામાન્ય પરીવારમાંથી આવતા ઘણાં બધા વિદ્યાર્થીઓને આના વિશે પ્રાથમિક માહિતી પણ હોતી નથી અને જો હોય તો પણ કઈ રીતે તેમાં આગળ વધી શકાય તેની જાણકારી હોતી નથી. ઉપરાંત ક્લાસ 1-2 માટે તૈયારી કરવા માટે ક્લાસિસમાં મોટા પ્રમાણે ફિ વસુલવામાં આવતી હોવાથી મધ્યમ વર્ગ અને ગરીબ પરીવારના બાળકો ક્લાસ કરી શકતા નથી. ત્યારે SPIPA દ્વારા સિવિલ સર્વિસીઝ પરીક્ષાની વિનામૂલ્ય તાલીમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. તે માટે SPIPA દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ આવ્યા બાદ તેમાં ઉમેદવાર તાલીમ મેળવી શકે.
હાલમાં જ વર્ષ UPSC 2023-24 ની સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે અગાઉથી તાલીમ મળી રહે તે માટે SPIPA એ પ્રવેશ પરીક્ષા 2023 માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. ઓનલાઈન અરજી ભરવા માટે ઉમેદવારે OJAS વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહે છે. ફોર્મ ભરવાની તારીખ 27/03/2023થી 30/04/2023 છે.
શૈક્ષણિક લાયકાત અને પાત્રતા
આ પ્રેવશ પરીક્ષામાં અરજી કરવા માટે ઉમેદવારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક કરેલું હોવું ફરજિયાત છે. ઉપરાંત જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તે પણ આમાં અરજી કરી શકે છે. જેમાં પરીપત્ર પ્રમાણેના નિયમો ઉમેદવારોએ ધ્યાને લેવા આવશ્યક છે.
વયમર્યાદા
– ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુને વધુ 32 વર્ષ સુધી
– બિનઅનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર નથી.
– SEBC ના ઉમેદવારોને 3 વર્ષ, SC-STના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે.
– ઉપરાંત અંધ ઉમેદવાર અને શારીરિક વિકલાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે.
પ્રવેશ પરીક્ષામાં ભરવાની થતી ફી વિશે વાત કરીએ તો, તમામ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવી ફરજિયાત રહે છે. જેમાં સામાન્ય વર્ગના ઉમેદવારોને રૂ. 300 અને SC-ST, SEBC, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ અને માજી સૈનિકોએ પરીક્ષા માટે રૂ. 100 ફી ભરવાની હોય છે.
પ્રવેશ પરીક્ષા મહત્વપૂર્ણ જાણકારી
સ્પીપાની પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કામાં લેવામાં આવતી પરીક્ષામાં હેતુલક્ષી પરીક્ષા એટલે MCQ હોય છે અને બીજા તબક્કાની પરીક્ષામાં નિબંધ કસોટી લેવામાં આવે છે. MCQ ની પ્રથમ તબક્કાની પરીક્ષામાં બે પેપર લેવામાં આવે છે. જેમાં સામાન્ય અભ્યાસ પેપર 1 માં 100 પ્રશ્નોના 200 ગુણ અને સામાન્ય પેપર 2 માં 50 પ્રશ્નોના 100 ગુણ એમ કુલ 300 માર્ક્સ માટે બે પેપર લેવામાં આવે છે. જેમાં કરન્ટ અફેર્સ, ભારતનો ઈતિહાસ, ભારત અને દુનિયાનું ભુગોળ, બંધારણ, પોલિટિકલ સિસ્ટમ, પંચાયત રાજ, પબ્લિક પોલીસી વગેરે. આ સાથે ઈકોનોમિક્સ અને સમાજિક વિકાસ, પર્યાવરણ અને વિજ્ઞાન આ સામાન્ય અભ્યાસ પેપર 1 માં પૂછવામાં આવશે. સામાન્ય અભ્યાસ 2 માં એપ્ટીટ્યુડને લગતા પ્રશ્નો પુછવામાં આવે છે.
બીજા તબક્કાની પરીક્ષાની વાત કરીએ તો, પ્રથમ તબક્કામાં લેવામાં આવેલી પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે મેરીટ બહાર પાડવામાં આવે છે. જેમાં ક્વોલીફાઈડ થયેલા ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે પસંદગી કરવામાં આવે છે. આમ બીજા તબક્કાની પરીક્ષા આપવા માટે સીલેક્ટ થયેલા ઉમેદવારોની 100 માર્કની નિબંધ કસોટી લેવામાં આવે છે. જેમાં અંદાજિત 1000 શબ્દોની મર્યાદામાં એક નિબંધ લખવાનો રહે છે. છેલ્લે બંને તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાં ફાઈનલ 400 ગુણમાંથી ઉમેદવારોનું મેરીટ પાડવામાં આવે છે. આ તેમાં સિલેક્ટ થનાર ઉમેદવારોને સ્પીપા દ્વારા UPSC સિવિલ સર્વિસીઝની પરીક્ષાની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે.