June 24, 2025
Jain World News
Jain TirthankaraJainism

જૈન ધર્મના ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાન

જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાં અભિનંદન ભગવાન ચોથા તીર્થંકર હતાં. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતાનું નામ સંવર અને માતાનું નામ સિદ્ધાર્થી હતું. અભિનંદન ભગવાન 350 ધનુષ ઉંચા અને તેમનો રંગ સુવર્ણ હોવાનું માનવામાં આવે છે. ભગવાન અભિનંદનનું પ્રતીક વાનર છે. જૈન ગ્રંથો અનુસાર, ભગવાન અભિનંદનજીએ તેમના લાંબા આયુષ્ય બાદ 1000 તપસ્વીઓ સાથે દીક્ષા લીધી હતી. ઉપરાંત તેમણે સંમેટ શિખર પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યું.

જૈન ધર્મના ત્રીજા તીર્થંકર ભગવાન સંભવનાથ પછી ભગવાન અભિનંદ ચોથા તીર્થંકર થયાં. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં મહારાજ સંવરને ત્યાં થયેલો. અભિનંદન ભગવાને આચાર્ય વિમલચંદ્ર પાસેથી દીક્ષા લઈને તીર્થંકર ગોત્રના વીસ સ્થાનોની આરાધના કરી હતી. અંતે કાળધર્મ પ્રાપ્ત કરીને વિજય વિમાનમાં અનુત્તર દેવ થયાં. વૈશાખ શુક્લ ચતુર્થીએ પુનર્વસુ નક્ષત્રના યોગમાં વિજય વિમાનથી ચ્યવન કરી તેઓ મહારાણી સિદ્ધાર્થાના ગર્ભમાં આવ્યાં. મહારાણીએ 14 મહાસ્વપ્ન જોતાં રાજા-રાણી બંને ઘણાં પ્રસન્ન થયાં. ગર્ભકાળ પૂર્ણ થતાં માઘ શુક્લા દ્રિતીયાએ પુષ્ય નક્ષત્રના યોગમાં મહારાણી સિદ્રાર્થાએ પુત્રરત્નને જન્મ આપ્યો. જ્યારથી તેઓ ગર્ભણાં આવ્યાં હતાં બધે જ પ્રસન્નતા છવાઈ ગઈ હતી. અતઃ માતા-પિતા તથા પરિજનોએ એમનું નામ અભિનંદન રાખ્યું.

અભિનંદન વિવાહ યોગ્ય થતાં પિતા સંવરે યોગ્ય કન્યા સાથે અભિનંદનનાં લગ્ન કરાવ્યાં. ત્યારબાદ પિતા સંવરે મુનિધર્મની દીક્ષા લઈને અભિનંદનને રાજ્ય સિંહાસન સોંપ્યું હતું. મહારાજા બન્યાં પછી અભિનંદને કુશળતાની સાથે રાજ્ય સંચાલન કર્યું અને પોતાના રાજ્યકાળમાં પોતાની પ્રજાને નીતિધર્મની સાથે સાથે કર્તવ્યપાલનની શિક્ષા પણ આપી હતી. અંતે સાડા છત્રીસ લાખ પૂર્વ સુધી શાંતિ અને ન્યાયપૂર્વક શાસન ચલાવ્યાં બાદ એમણે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો. લોકાંતિક દેવો દ્રારા પ્રાથના કરાતાં વર્ષીદાન આપ્યા પછી માઘ શુક્લ દ્વાદશી (બારશ) નારોજ અભિજિત નક્ષત્રમાં એક હજાર અન્ય રાજાઓની સાથે પંચમુષ્ટિ લોચ કરી સંપૂર્ણ પાપકર્મોના ત્યાગરૂપ સંયમ સ્વીકારી વિરક્ત થઈ ગયાં.

દીક્ષા સમયે એમણે બેલે (છટ્ઠ) તપસ્યા કરી અને બીજા દિવસે એમણે સાંકેતમાં મહારાજ ઈન્દ્રદત્તને ત્યાં પ્રથમ પારણું કર્યું. દેવોએ પંચદિવ્યોની વર્ષા કરી અને ‘અહો દાનં’નો ઘોષ કર્યો. દીક્ષા લીધા પછી વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરીને વિચરણ કરતાં રહ્યાં. મમત્વભાવરહિંત સંયમધર્મની સાધના કરીને એમણે 18 વર્ષ સુધી છદ્મસ્થચર્યામાં વિહાર કર્યાપછી પોષ શુક્લ ચતુર્દશીના રોજ અભિજિત નક્ષત્રમાં અયોધ્યા નદરીનમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન-કેવળદર્શનની ઉપલબ્ધિ કરી. એ પછી એમણે દેવો અને મનુષ્યોની સભામાં ધર્મદેશના આપી તથા ધર્માધર્મનો ભેદ સમજાવી લોકોને કલ્યાણનો માર્ગ બતાવીને તીર્થની સ્થાપના કરવાથી ભાવ-તીર્થંકર કહેવાયાં.

ભગવાન શ્રી અભિનંદને સાડા બાર લાખ પૂર્વ સુધ કુમારાવસ્થા, 8 પૂર્વાંગ સહિત સાડા 36 લાખ પૂર્વ સુધી રાજ્યપદ અને 1 લાખમાં 8 પૂર્વાંગ ઓછા પૂર્વ સુધી દીક્ષાપર્યાયનું પાલન કર્યું અને આ પ્રમાણે કુલ 50 લાખ પૂર્વની પૂર્ણ વયના અંતે જીવનકાળથી સમાપ્તિ નિકટ સમજી વૈશાખ શુક્લ અષ્ટમીએ પુષ્ય નક્ષત્રના યોગમાં એક મહિનાના અનશનથી એક હજાર મુનિઓની સાથે સકળ કર્મોનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. એમનાં પર પાવન ઉપદેશોથી અસંખ્ય આત્માઓ એ પોતાનું કલ્યાણ સાધ્યું. એમના ધર્મપરિવારમાં 116 ગણ અને ગણધર હતાં.

Related posts

જૈન ધર્મના 13માં તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન

admin

Sparsh Mahotsav 2023 Ahmedabad : ગિરનાર પર્વત પર લાઈટ અને સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર

admin

મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસર નો અદભૂત નજારો

admin

Leave a Comment