વોશિંગ્ટન, USA ખાતે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા દેરાસરની મૂર્તિઓનો કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પરના કોબા ખાતે આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા તીર્થ સ્થાને કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ‘અંજનશલાકા મહામહોત્સવ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંઘના પરમોપકારી જિનશાસનના પ્રભાવક પુણ્યપુરુષ, પુજ્યપાદ રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા સહિત સૂરિવરો, પદસ્થો, મુનિવરો તેમજ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
વોશિંગ્ટન, USA માં 150 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા જિનાલયમાં ‘અંજનશલાકા’ કરવામાં આવશે. આમ અમદાવાદથી વોશિંગ્ટન USA ખાસ વ્યવસ્થા દ્વારા ભગવાનની પ્રતિમા મોકલવામાં આવશે. માર્બલમાંથી બનાવવામાં આવેલી 100 થી 700 કિલોનું વજન ધરાવતી 23 પ્રતિમાને વોશિંગ્ટન મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં 200 થી વધુ જૈન શ્રાવક, શ્રાવિકા, જૈન પરિવાર સાથે વિશ્વના અલગ-અલગ દેશમાંથી અમદાવાદમાં આવ્યાં હતાં.
જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિંગ્ટન, USA ની ‘પાયાથી શિખર સુધીની’ કથા :
જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિંગ્ટન (JSMW) ની સ્થાપના 1980 માં કરવામાં આવી હતી. 1989 માં 175 પરિવારો સાથે મળીને એક જૈન દેરાસરનું ઉદ્ધાટન કર્યુ હતું. આ બાદ સંઘ દ્વારા એક મકાન ખરીદી તેને દેરાસર સાથે નાના જૈન કેન્દ્રમાં ફેરવામાં આવ્યું હતું. આમ છેલ્લા ત્રણ દાયકામાં આ કેન્દ્રમાં 650થી વધુ પરિવારોએ સભ્યપદ કરતાં અમેરિકામાં એક મજબૂત અગ્રણી જૈન સમાજ તરીકે વિકશ્યુ હતું. એટલે USAમાં વ્હાઈટ હાઉસથી માત્ર 30 કિ.મી.નાં અંતરે આવેલું આ જૈન કેન્દ્ર સમગ્ર વિશ્વમાં જૈનો માટે પ્રતિષ્ઠિત સ્થળ બન્યું છે.
અંજનશલાકા એટલે શું ?
અં – અંત વિનાના
જ – જન્મ મરણાદિ અને
ન – નરક નિગોદાદિ દુઃખોને તેમજ દુઃખપ્રાપક કર્મોને
શ – શતશઃ ખંડન કરી શાશ્વત સુખના સામ્રાજ્યને
લા – લાવી આપનાર અને
કા – કાલાતીત બનાવનાર પાવન પ્રક્રિયા એટલે જ અંજનશલાકા.