June 24, 2025
Jain World News
Jain TirthankaraJainism

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન માત્ર જૈનોનાજ ન્હોતા

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન છે. જૈન ધર્મમાં ભગવાન મહાવીર અને નેમિનાથ સુધીનો ઈતિહાસ શોધવો મુશ્કેલ નથી. પરંતુ ઋષભદેવના ઈતિહાસને આંકવો ખૂબ મુશ્કેલ સાબિત થશે. જૈન ગણતરી પ્રમાણએ ઋષભદેવનો સમય લાખો-કરોડો વર્ષ પહેલા માનવામાં આવે છે. ત્યારે ઋષભદેવ જેવાં અતિ પ્રાચિન પુરુષ વિશેનો ઈતિહાસ ભાગ્યેજ ક્યાંક જોવા મળશે. ઘણાં ખરા પ્રાચિન ગ્રંથોમાં ઋષભદેવના ઈતિહાસની પ્રતિતિ થતી જોવા મળે છે. ત્યારે તેમનાં ઈતિહાસની વિશેષ માહિતી મેળવીએ.

ઋષભદેવ માત્ર જૈનોનાં જ નથી! : 

મહાન વિજ્ઞાનવર્ગના લેખોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, ઋષભદેવ માત્ર જૈનધર્મના જ દેવ તેમજ પૂજ્ય અવતારી પુરુષ નથી. પરંતું ભાગવતમાં દર્શાવામાં આવેલાં ઋષભચરિત્રનાં વર્ણનને જૈન ગ્રંથોમાં મળી આવતાં ઋષભચરિત્ર સાથે સરખાવામાં આવે છે. એટલે પ્રથમ ર્દષ્ટિએ જોનારને એમ લાગશે કે જૈન ગ્રંથમાંથી ભાગવતના કર્તાએ ઋષભદેવને પોતાના ગ્રંથમાં આલેખ્યાં હશે. પરંતું જૈનો મોટે ભાગે એવું માને છે કે, જૈન પરંપરા બહાર ઋષભદેવ સ્થાન નથી. જેમનું એવું માત્ર માનવું છે કે, ઋષભદેવનું સ્થાન જૈન મંદિરમાં, જૈન તીર્થોમાં અને જૈન ઉપાસનામાં જ પ્રતિષ્ઠિત છે.

ભાગવતમાં ઋષભદેવ :

ભાગવત એ બ્રાહ્મણ પરંપરા અને તેમાંય ખાસ કરીને વૈષ્ણવ પરંપરાનો અતિપ્રસિદ્ધ ગ્રંથ છે. જેને ભાગવતપુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋષભદેવના સંસ્કૃત ભાષામાં લખાયેલાં દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયોનાં જૈન ગ્રંથો પછીના હોવાનું માનવામાં આવે છે. આ સાથે જૈન પરંપરામાં ખાસ કરીને શ્વેતાંબર પરંપરામાં ઋષભદેવનું પ્રાકૃત ભાષામાં લખાયેલ ઋષભચરિત્ર ભાગવતમાંના ઋષભચરિત્ર કરતાં પણ પ્રાચીન હોવા વિશે ભાગ્યે જ સંદેહ રહે છે. આમ ભાગવતમાં વર્ણન કરેલાં ઋષભચરિત્ર જૈન ગ્રંથોમાં આવતાં ઋષભચરિત્ર સાથે મળતું આવે છે. જેથી પ્રથમ ર્દષ્ટિએ જોનારને જૈન ગ્રંથોમાંથી ભાગવતના કર્તાએ ઋષભદેવને પોતાના ગ્રંથમાં આલેખ્યાં હશે તેવું લાગે.

કલ્યાણજ્ઞાન અને લોકકલ્યાણ :

મહારાજ ઋષભદેવે લોકનાયક અને રાષ્ટ્રસ્થવિરના રૂપમાં વિભિન્ન વ્યવહારોપયોગી વિધિઓથી જનસમાજને પરિચિત કરાવ્યાં હતાં. આ સમયગાળામાં તેઓ ગૃહસ્થપર્યાયમાં હતાં. એમણે માનવ જીવનને અભક્ષ્ય ભક્ષણથી બચાવી સાત્વિક જીવન જીવવા માટે અસિ, મસિ અને કૃષિ કર્મની શિક્ષા આપી સમજાવ્યું હતું કે, ક્યારેક જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને દોષવૃતિ પણ કરવી પડે, તો પાપને પાપ સમજી, નિષ્પાપ જીવનની તરફ ચાલવાનું જ લક્ષ્ય હોવું જોઈએ. જે સાચા અર્થે સમ્યગીદર્શન છે. આ પ્રકારે તેમણે કર્મયુગના આગમન સમયે ભોળા લોકોને સુખ પૂર્વક જીવવાની કળા શીખવીને માનવતાને ભટકવાથી બચાવી. માનવતાના કલ્યાણ માટે તેમણે પોતાના પુત્રોના માધ્યમથી પુરુષો માટે 72 કળાઓની શિક્ષા આપી હતી. આ સાથે તેમણે મહિલાઓને શિક્ષાસંપન્ન બનાવવાનું કાર્ય કર્યું હતું. ઉપરાંત પોતાની પુત્રી બ્રાહ્મીનના માધ્યમથી એમણે લિપિજ્ઞાન આપવાની સાથે મહિલાઓ માટે ઉપયોગી 64 કળાઓ પણ શીખવાડી હતી.

કેવલ્યપ્રાપ્તિ :

પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી પ્રભુ 1000 વર્ષ સુધી ગામાનુગામ વિચરણ કરતાં સમયે તપશ્વરણ દ્રારા આત્મસ્વરુપને પ્રકાશિત કરતાં રહ્યાં. અંતે પ્રભુ પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામક ઉદ્યાનમાં ફાગળ કૃષ્ણ એકાદશના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રના યોગમાં અષ્ટમ-તપની સાથે ધ્યાનાવસ્થિત થયા અને ક્ષપકશ્રેણીથી ચાર ઘાતીકર્મોને નષ્ટ કરી વટવૃક્ષની નીચે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની સાથે ભગવાન ઋષભદેવ અરિહંત થઈ ગયા અને એમનામાં અરિહંતોના 12 ગુણ પ્રગટ થયાં.

ભગવાન ઋષભદેવના કલ્યાણક :

ભગવાન ઋષભદેવનાં પાંચ કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને છઠ્ઠું કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયું હતું.

ઉત્તરષાઢા નક્ષત્ર નીચે પ્રમાણે…

1) સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવન
2) જન્મ
3) પ્રભજીનો રાજ્યાભિષેક
4) દીક્ષા
5) કેવળજ્ઞાન પ્રાપ્તિ
આઠેય કર્મોને નષ્ટ કરી મોક્ષગમન અભિજિત નક્ષત્રમાં થયું.

Related posts

જૈન ધર્મના ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાન

admin

જૈન ધર્મના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન

admin

ઓનલાઇન પોર્નોગ્રાફી બંધ કરાવવાની પ્રથમ હાકલ કરનાર પદ્મભૂષણ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ

admin

Leave a Comment