દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું પુલિત્ઝર સન્માન આ વખતે ભારતના ચાર ફોટોગ્રાફરોને મળ્યું છે. પુલિત્ઝર પ્રતિષ્ઠિત સન્માન છે અને ફોટોજર્નાલિઝમ ક્ષેત્રે આ સન્માન મૂઠી ઊંચેરું છે. તેમાં એક નામ ગુજરાતના અમિત દવેનું પણ છે. અન્ય ત્રણ ફોટોગ્રાફરોમાં દાનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને સન્ના અર્શાદ મટ્ટૂ છે. વિશ્વભરમાં થતી ન્યૂઝ ફોટોગ્રાફીની સ્પર્ધામાં ભારતીય ફોટોગ્રાફરોની પસંદગી થાય તે આનંદની વાત છે. આ ચારે ય ફોટોગ્રાફરોને ફિચર કેટેગરીમાં સન્માન મળ્યું છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન દેશમાં સર્જાયેલી કટોકટીને તસવીરમાં કેદ કરી છે અને તે તસવીરો આજે પણ મહામારીનો ખોફ દર્શાવે છે.
પુલિત્ઝર સન્માન પત્રકારત્વ ક્ષેત્ર ઉપરાંત સંગીત અને જુદીજુદી લેખન કેટેગરીમાં પણ આપવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી આ સન્માન વિશ્વભરની પ્રતિભાને સન્માને છે અને તે પણ કોઈ વિવાદ વિના. પુલિત્ઝર સન્માનને લઈને એક સદી જેટલા સમયમાં વિવાદોની સંખ્યા નજીવી રહી છે. આજે પણ આ સન્માનની શાખ અકબંધ છે. જે ભારતીય ફોટોગ્રાફરોને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે તે તમામ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ માટે કાર્યરત છે. તેમાંથી દાનિશ સિદ્દીકી આજે હયાત નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈ, 2021માં ફોટોગ્રાફી કરતી વખતે જ તેમનું અવસાન થયું. અફઘાન સુરક્ષા બળ અને તાલિબાનો વચ્ચે આમને સામને ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યારે દાનિશને એકથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. વિદાય લેતાં પહેલાં 38 વર્ષીય દાનિશ સિદ્દીકી વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ફોટોગ્રાફી કરી છે.
કોવિડ દરમિયાન આ ચારે ય ફોટોગ્રાફરોએ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ અર્થે ઉમદા કામ કર્યું અને તેમની 14 ફોટોની સિરીઝની સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. આ ફોટોગ્રાફમાંથી એક છે નવી દિલ્હીની પ્રણવ મિશ્રા નામના યુવકની સ્મશાનમાં લેવાયેલી તસવીર. 19 વર્ષીય પ્રણવની માતા મમતા મિશ્રાનું કોવિડના કારણે અવસાન થયું છે. તેમાં પ્રણવ તેની માતાને અગ્નિદાહ આપતી વેળાએ ઘૂંટણીયે પડીને રડી રહ્યો છે. આ તસવીર કોવિડ દરમિયાન સ્વજનો ગુમાવવાની વ્યથાને બયાન કરે છે અને સાથે સાથે ભારતમાં કોવિડની સ્થિતિને પણ. પ્રણવ જ્યાં પોતાની માતાને અગ્નિદાહ આપવા આવ્યો છે તેની આસપાસ પણ અનેક અગ્નિદાહ અપાયાનું ચિત્ર દેખા દે છે. આ તસવીર દાનિશે લીધી છે.
આ સિરીઝની બીજી એક તસવીર નવી દિલ્હીની છે. તે પણ સ્મશાનની તસવીર છે. અદનાન આબિદીએ આ તસવીર લીધી છે. અદનાન મૂળ દિલ્હીના છે, પણ તેમણે રોઇટર્સ વતી નેપાળ ભૂકંપ, ભારતીય વિમાનનું કંદહાર અપહરણ, 2004ની સુનામી અને કાશ્મીર ભૂકંપમાં નોંધનીય કામ કર્યું છે. અદનાને કોરાના દરમિયાન પણ આપણી આસપાસ પ્રસરેલા ડર અને મજબૂરીને પોતાના તસવીરમાં કેદ કરી છે. દિલ્હીના સ્મશાનની આ તસવીરમાં કોવિડથી મૃત્યુ પામેલી એક વ્યક્તિનો અગ્નિસંસ્કાર અર્થે મૃતદેહ છે. આ મૃતદેહની આસપાસ કોઈ નજર આવી રહ્યું નથી. બસ, તેની પાછળ સ્મશાનમાં પ્રગટી રહેલી ચિતાઓ દેખાય છે. આબિદના આ ફોટો જોઈને આપણે અનુભવેલી કોરોનાની કરુણાંતિકા સ્મૃતિમાં દસ્તક દે છે.
કોરોના દરમિયાન દેશભરમાં મૃતદેહનો જે રીતે અગ્નિસંસ્કાર થઈ રહ્યો હતો અને સામે મૃત્યુના આંકડા આવી રહ્યા હતા તેને લઈને ખૂબ વિવાદ થયો. સ્મશાનોની આગ ઠરતી નહોતી અને સંખ્યામાં તે પ્રમાણ દેખાતું નહોતું. આ વિવાદોનો જવાબ દાનિશ સિદ્દીકીને નવી દિલ્હીમાં ખેંચેલી એક તસવીર બયાન કરે છે. દિલ્હીના રહેણાંક વિસ્તારની વચ્ચે સ્મશાન છે અને તેમાં એક સાથે અનેક મૃતદેહને અગ્નિદાહ અપાયો છે. આ તસવીર દાનિશે એરિઅલ વ્યૂથી લીધી છે એટલે કેટલી મોટી સંખ્યામાં મૃતદેહ છે તેનો અંદાજ આવી શકે. સરકારના આંકડાઓની પોલ આ રીતે એક તસવીરથી જ ખૂલી જાય છે. જો કે હવે તો ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને’ પણ કહ્યું છે કે ભારતે કોરોના દરમિયાન દાખવેલો મૃત્યુઆંક વાસ્તવિકતાથી ઘણો ઓછો છે.
આ સિરીઝમાં ઘણાં ખરાં ફોટોગ્રાફ નવી દિલ્હીના છે. એક બીજો ફોટો અદનાન આબિદનો છે તેમાં બે સ્વયંસેવકો કોરોનાગ્રસ્ત મૃત્યુ પામનારને અગ્નિદાહ આપ્યા પછી તેમના અસ્થિ એકઠા કરી રહ્યા છે. અહીંયા પણ ફોટોગ્રાફર એ નિર્દેશ કરી રહ્યા છે કે રોજના કેટલાં બધાં અગ્નિદાહ અપાતાં હશે જ્યારે ત્યાં અસ્થિઓને એકઠી કરવા અર્થે સ્વયંસેવકોની જરૂર પડી! દાનિશનો એક ફોટો આ રીતે કોરોનાથી થયેલાં મૃત્યુના અસ્થિઓને ખાનામાં મૂકવામાં આવી હતી તેનો છે. આ અસ્થિઓની પાછળ નંબર દેખાય છે અને લોકડાઉનના કારણે તે અસ્થિઓને નદીઓમાં વહાવાની પ્રક્રિયા બાકી રહી ગઈ છે. પરિવારજનો અસ્થિ લેવા ન આવ્યા હોવાથી તેને આ રીતે સ્મશાનમાં સુરક્ષિત રાખવામાં આવી છે. હિંદુ ધર્મમાં અસ્થિઓને નદીમાં વહાવવાની પ્રથા મહત્ત્વની છે, તે માટે સગાંવહાલાંઓ દિવસો આપે છે, પણ લોકડાઉન દરમિયાન આ અસ્થિઓ મહિનાઓ સુધી આમ જ રહી.
આ સિરીઝનો એક ફોટો નાગા સાધુઓનો છે. આ ફોટો દાનિશ સાદિકીએ એપ્રિલ, 2021માં હરિદ્વારમાં યોજાયેલાં કુંભમેળામાં લીધો છે. એક સાધુએ તેમાં માસ્ક પહેર્યું છે પણ તેમની વચ્ચે કોઈ સોશિયલ ડિસ્ટસિંગ નથી. આ બધા સાધુઓ મળીને ગંગામાં શાહી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફોટો લેવામાં આવ્યો ત્યારે દેશભરમાં કોવિડની લહેર પિક પર હતી. લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હતા અને મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો હતો. પરંતુ હરિદ્વારમાં કોઈ ઝાઝા નિયમ વિના ટોળાં એકઠાં થયાં હતાં. આ ટોળાંમાં નાગા સાધુઓ મોખરે હતા.
દેશના ગામડાંમાં કોવિડથી શું સ્થિતિ નિર્માણ પામી હતી તેનું બયાન અદનાન આબિદીની ઉત્તર પ્રદેશની એક તસવીર કરે છે. ઉત્તર પ્રદેશના પરસોઅલ ગામની આ તસવીર છે, જ્યાં એક વ્યક્તિ કોવિડગ્રસ્ત તેની પત્નીની સાથે છે. પત્નીની સારવાર ગામમાં જ ખાટલો પાથરીને થઈ રહી છે અને તે સારવારમાં તેમને બોટલ દ્વારા લિક્વિડ સાથે દવા આપવામાં આવી રહી છે. કોવિડનો ઇલાજ કેટલાંક ઠેકાણે કેવી રીતે થતો હતો તે માટે આ તસવીર નમૂનારૂપે મૂકી શકાય.
પુલિત્ઝર સન્માનમાં અદનાન આબિદી અને સિદ્દીકી સાથે કાશ્મીરની એક મહિલા ફોટોગ્રાફર સન્ના ઇરશાદ મટ્ટૂનું નામ પણ છે. સન્નાની એક તસવીર રસીકરણ કાર્યક્રમની છે. આ કાર્યક્રમ કાશ્મીરની ઘાટીઓમાં કેવી રીતે થયો તે બયાન કરે છે, જેમાં પાછળ દુર્ગમ પહાડીઓ વચ્ચે પણ હેલ્થકેર વર્કર્સ રસીકરણ કરી છે. આ રીતે કોવિડમાં તાવનાં લક્ષણો તપાસવા અર્થે ‘ગનકલ્ચર’ વિકસ્યું હતું. જ્યાં જઈએ ત્યાં તમારાં કપાળ કે હાથ પર ગન મૂકી દેવામાં આવે. અમદાવાદની થોડે અંતરે આવેલા કવેઠા ગામમાં આવી રીતે જ હેલ્થકેર વર્કરે એક બહેનના કપાળે ગન મૂકી છે અને તે તસવીર અમિત દવેએ લીધી છે. આ તસવીરની ખૂબી તેની પાછળનું દૃશ્ય છે અને તેનાથી ઉપસતો કોરોનાકાળનો માહોલ છે. આ તસવીર કોવિડ મહામારીની લાક્ષણિકતાને ઝડપથી રૂબરૂ કરાવે છે. આ તસીવરે અમિત દવેને પુલિત્ઝરના સન્માન મેળવનારાંઓની ટીમમાં જગ્યા અપાવી.
કોરોનાનો કાળને હજુ ઝાઝો સમય નથી વીત્યો તેમ છતાં તે જાણે ભૂલાઈ ગયો છે. પરંતુ રોઇટર્સની આ ટીમે લીધેલી તસવીરો હજુ પણ ભયાવહ સમયને આપણી સમક્ષ લાવી મૂકી દે છે. સિદ્દીકીની એક તસવીર ગાઝિયાબાદની છે. ગાઝિયાબાદમાં ગુરુદ્વારાની પાર્કિંગની એ તસવીર છે અને તેમાં મનોજકુમાર નામના એક ભાઈ તેમની માતાને કારમાં સૂવડાવીને તેમને રૂમાલથી હવા નાંખી રહ્યા છે. મનોજકુમારના માતાનો ઓક્સિજન ઘટી રહ્યો છે અને ગુરુદ્વારા તરફથી તેમના માટે કારમાં જ ઑક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કરુણ દૃશ્ય દેશના શહેરેશહેરે જોવા મળ્યા હતા. અનેક લોકોએ તેમાં વિદાય લીધી અને હવે તે પૂરો સમય પણ જાણે ભૂલાઈ ગયો.
2020માં પણ ત્રણ ભારતીય ફોટોગ્રાફરોને પુલિત્ઝર સન્માન મળ્યું હતું. એસોશિયેટેટ પ્રેસના દાર યાસિન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદે કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ ત્યાંના કોમ્યુનિકેશન બ્લેકઆઉટને તસવીરમાં ઉતારી હતી. કેમેરાની એક ક્લિક જે-તે સમયની પૂરી પરિસ્થિતિ આપણી સમક્ષ લાવી મૂકી છે. આજે મોબાઈલથી તસવીર લેવી સામાન્ય થઈ ચૂક્યું છે તેમ છતાં હજુ પણ વ્યવસાયી ધોરણે થતી ન્યૂઝ ફોટોગ્રાફીનો યુગ આથમ્યો નથી.
https://opinionmagazine.co.uk/details/8412/chaar-bharatiya-photgrapherne-pulitzer-sanmaan-clickthee-bayaan-thatee-coronakaalanee-vyathaa-%E2%80%A6